રાજકોટના યુવા બિઝનેસ મેનના જોધપુરમાં જાજરમાન લગ્ન, જુઓ લક્ઝુરિયર્સ તસવીરો…
રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ અને સોનલબેન પટેલના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.14-15-16 નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાવાના છે.
ત્યારે આજે સવારે 8:30 વાગ્યે આ જાજરમાન લગ્નની જાનદાર જાનનું રાજકોટ એરપોર્ટ પરથી વાજતેગાજતે પ્રસ્થાન થયું હતું. એમાં ઈન્ડિગોના 78 સીટર પ્લેને જાનૈયાઓને જોધપુર લઈ જવા ટેકઓફ કર્યું હતું, જ્યાં ઢોલ-નગારાં અને ડીજેની રમઝટ બોલાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશભાઇ ચાર્ટર પ્લેનમાં જોધપુર જવા રવાના થયા છે. આ ઉપરાંત અન્ય મહેમાનો માટે પણ ઈન્ડિગો અને સ્પાઈસજેટનાં બે ચાર્ટર પ્લેન અને એક એર બસ બુક કરવામાં આવી છે.
એ અંતર્ગત આજે તા.13ને શનિવારે સવારે 8:30 વાગ્યે ઈન્ડિગોનું 78 સીટર ચાર્ટર પ્લેન રાજકોટથી જોધપુર માટે ટેકઓફ થયું છે. જ્યારે બીજા દિવસે, એટલે કે આવતીકાલે રવિવારે તારીખ 14મીએ સવારે 9 વાગ્યે સ્પાઇસજેટની 78 સિટની કેપેસિટી સાથેનું ચાર્ટર અને 186 સીટની ક્ષમતા ધરાવતી એરબસ મહેમાનોને લઈને ઉડાન ભરશે.
આ લગ્ન સમારંભની ખાસ બાબત એ છે કે એ એક ડેસ્ટિનેશન વેડિંગ છે અને એનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે કરાયું છે. હોટલ ઉમેદભવન પેલેસ હાલ ‘તાજ હોટલ’ દ્વારા સંચાલિત છે અને એની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘી હોટલ્સમાં થાય છે,
જેમાં એક થાળીની કિંમત રૂ.18 હજાર છે તો પ્રતિ નાઈટ રૂમની કિંમત રૂ.7,50,000 છે. ઉલ્લેખનીય છે કે બૉલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન પણ આ જ પેલેસમાં થયાં હતાં.
આ શાહી લગ્નની કંકોત્રી પણ રજવાડી સ્ટાઈલથી બનાવવામાં આવી છે. આ કંકોત્રીનું વજન 4 કિલો 280 ગ્રામ છે. આ એક કંકોત્રી બનાવવા પાછળ મૌલેશભાઇએ 7 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેમાં 7 પાનાંમાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમની ઝાંખી દર્શાવવામાં આવી છે.
કંકોત્રીની સાથોસાથ કાજુ, બદામ, કિસમિસ અને ચોકલેટ પણ રાખવામાં આવ્યાં છે. કંકોત્રી ખોલો એ પહેલાં રજવાડી પટારા પર શ્રીનાથજીનાં દર્શન થાય છે. બાદમાં એક બાદ એક લગ્નના કાર્યક્રમો સાથેનાં પાનાં રાખવામાં આવ્યાં છે. કંકોત્રીમાં કાપડ અને ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ લગ્ન સમારંભની ખાસ બાબત એ છે કે એ એક ડેસ્ટિનેશન વેડિંગ છે અને એનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે થયું છે.
જોધપુરના ઉમેદભવન પેલેસ ખાતે યોજાનારા આ જાજરમાન લગ્ન સમારોહમાં ત્રણ દિવસના ફંક્શન દરમિયાન અનેક કાર્યક્રમો યોજાવાના છે, જેમાં તારીખ 14, 15, 16 નવેમ્બર માટે આખી હોટલ ઉમેદભવન પેલેસ અને હોટલ અજિતભવન પેલેસ આખા બુક કરવામાં આવ્યા છે.
રાજકોટથી ત્રણ ચાર્ટર ફ્લાઈટ સીધી જોધપુર જશે અને ત્રણેય દિવસ વિવિધ કાર્યક્રમ યોજાશે. એમાં 14મી નવેમ્બરે મહેંદી રસમ, ભગવાન દ્વારકાધીશજીની આરતી યોજાશે તેમજ રાત્રિના સમયે જાણીતા કલાકાર ઐશ્વર્યા મજમુદાર પર્ફોર્મન્સ આપવાના છે.
15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિના બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવશે. જ્યારે 16મીએ જાજરમાન લગ્ન યોજાશે. મુખ્ય લગ્ન સમારંભ અહીંના જાણીતા કિલ્લા મહેરાનગઢ ફોર્ટમાં યોજાવાનો છે.
તારીખ 16 નવેમ્બરના દિવસે જોધપુર ખાતે યોજાનારા આ લગ્ન માટે તારીખ 13 નવેમ્બરથી જ આખી હોટલના તમામ 70 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંના એવા જ રજવાડી ગણાતા અજિતભવન પેલેસના તમામ 67 રૂમ પણ ચાર દિવસ માટે બુક કરી દેવામાં આવ્યા છે. લક્ઝરીથી લથબથ એવા આ લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે થઈ રહ્યા છે.
લગ્નમાં કન્યા-વર પક્ષના 150-150 લોકો મળીને કુલ 300 લોકોને આમંત્રણ અપાયું છે, કારણ કે રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો છે.
આવા શાહી લગ્ન ઉદ્યોગપતિના પુત્રના થવાના છે. ઉમેદભવન પેલેસમાં લંચ કે ડિનર લેવું એ સ્વયં એક અનુભવ છે અને ત્યાંનું ફૂડ મોંઘું છે. આ લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે એનો ચાર્જ 18 હજાર રૂપિયા છે.